થપ્પડ



હમણાં
 તાજેતરમાં જ એક ફિલ્મ જોઈ  "થપ્પડ" જેમાં સ્વમાન અને સબંધ વચ્ચે વધુ મહત્ત્વ શુ રાખે છે એને સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં એક ડાયલોગ છે કે "ઉસને મુજે મારા, પહેલી બાર...પર નહીં માર સકતા, બસ ઇતની સી બાત હૈ" , અમૃતા જે  એજ્યુકેટેડ, મોડર્ન વિચારધારા ધરાવતી છોકરી છે છતાં એક હાઉસવાઈફ રહી પોતાના પતિ અને ઘર ને સાંભળવામનો નિર્ણય કરે છે તેને તેના પતિ આખી પાર્ટી વચ્ચે પોતાના કામના સ્ટ્રેસ ને કારણે થપ્પડ મારે છે અને બધું બદલાઈ જાય છે. તેનું સ્વમાન ઘવાય છે. તેના પતિને કોઈ અફસોસ પણ નથી હોતો જેમકે સ્ટ્રેસમાં પોતાની પત્નિ પર હાથ ઉપાડવો એ સામાન્ય વાત છે. અમૃતા કહે છે કે એ એક થપ્પડ જે તેના પતિએ તેને ગાલ પર માર્યો એ એક થપ્પડે જાણે અમૃતાને એવા ઘણા થપ્પડ યાદ દેવડાવી દીધા જેને તે ઇગ્નોર કરી આગળ વધતી જતી હતી. આ વાત ઘણી ખરી સ્ત્રીઓ અંદરખુણે જાણતી જ હશે અને માનતી પણ હશે પણ તેઓમાં વિરોધ કરવાની શક્તિ મોટા ભાગે હોતી નથી અથવા તો તેમને નાનપણથી એમ શીખવવામાં આવે છે કે એટલું તો સહન કરવું પડે, એડજેસ્ટ કરવું પડે, કોમ્પરોમાઇસ કરવું પડે નહીં તો લગ્નજીવન કેમ સુધરે કે કેમ ટકે? 

ફિલ્મમાં એક ડાયલોગ માં અમૃતા ( તાપસી પન્નુ) કહે છે કે જે સબંધ જોડીને રાખવો પડે એનો મતલબ તો એવો ને કે એ તૂટેલો જ છે? સબંધ સ્ત્રી કે પુરુષ કોઈના પણ સ્વમાનના ભોગે બાંધેલ રાખવો પડે એ કેટલું યોગ્ય છે? તમે તમારા જીવનસાથીના સ્વમાન ને તુચ્છ સમજતા હોવ તો તમે એમનો સ્વીકાર જ કેટલો કર્યો છે? કોઈને સ્વીકાર ના કરી શકીએ એમના પ્રત્યે  પ્રેમ, સ્નેહ કે કોઈ લાગણી જન્મી શકે ખરી?

સ્વમાનનું એક શ્રેષ્ઠ ઉદાહરણ મને રામાયણમાં જોવા મળે છે. સીતાજી પતિવ્રતા હતા, આખું જીવન એમને ઘણા દુઃખ સહન કરવાના આવ્યા પણ જ્યારે વાત એમના સ્વામાન પર આવી ત્યારે એમણે પોતાના સ્વામાન ને પ્રાથમિકતા આપી. રામ ,અયોધ્યાવાસી બધા લવ કુશ સાથે તેમનો સ્વીકાર કરવા તૈયાર થયા ત્યારે તેમણે ધરતીમાંનો સહારો લીધો. જે રઘુનંદન દ્વારા એક વાર ત્યાગી ગયેલ પોતાની જાત ને તેમણે ફરી સ્વમાનના ભોગે અર્પણ ના કરી. આખું જીવન અગણિત વ્યથા ભોગ્યા બાદ તેઓ પોતાની જાત ને ,પોતાના સ્વામાન ને સાચવવાનું જાણતા હતા.

સંબંધોની કિંમત ઓછી છે એવું નથી. અહંકારના ભોગે જે સબંધ તૂટે છે એ બિલકુલ વ્યાજબી નથી. પણ આપણને સ્વમાન અને અહંકાર વચ્ચેના તફાવતને ઓળખતા આવડવું જોઈએ. પોતાના સ્વમાન, ગૌરવને જાળવવા માટે લડતા ,હિંમત રાખતા આવડવું જોઈએ. થપ્પડ ફિલ્મ પુરુષ પ્રધાન સોસાયટીના વિરોધ કે સ્ત્રી કેન્દ્રીત નથી. સ્ત્રીઓ પણ બીજી સ્ત્રીઓની દશા માટે જવાબદાર બની રહે છે. પુરુષો પણ જેમકે અમૃતાના પિતા જાણે છે કે જે અમૃતા કરી રહી છે એ કેમ જરૂરી છે અને અંતમાં અમૃતાનો પતિ પણ સમજી જાય છે કે કેમ અમૃતા માટે તેનું સ્વામાન ,તેની લડત ,તેની શાંતી જરૂરી છે. આ ફિલ્મ ફેમીલી સાથે જોવા જેવી છે કારણકે આ વાત ખાલી પતિ પત્નીની નથી,પણ પરિવારના બીજા સદસ્યો પણ એક યુગલના જીવનમાં કેમ પ્રભાવ કરી શકે છે તે પણ છે, જેમકે માતા,પિતા ,ભાઈ, સાસુ વગેરે.

જ્યારે સ્વમાન નથી સચવાતું ,ત્યારે પોતાની જાતનો સામનો કરવો મુશ્કેલ બને છે. પોતાના અસ્તિત્વ પર સવાલ ઉભા થાય છે ,આ પીડા અમૃતાના પાત્ર દ્વારા ખૂબ સારી રીતે સમજાવવામાં આવી છે. ફિલ્મના ડાયલોગ વિચારતા  કરી મૂકે તેવા છે , મ્યુઝિક પણ સરસ છે, ઘણી જીણવટભરી દ્રષ્ટિથી ફિલ્મની કહાની કહેવામાં આવી છે. છેલ્લે "હેલ્લારો" ફિલ્મનો ડાયલોગ યાદ આવે છે જેમાં કહે છે કે આ સમાજ ના ઘણા નિયમોના ભાગ તો બની ગયા છીએ, ભોગી ના બનીએ તો સારું. ભોગી બનવું કે ના બનવું એ આપણા ઉપર નિર્ભર કરે છે. શક્તિ ને ક્યારેય પોતાની જાતને આશ્રિત કે કમજોર ના સમજવી જોઈએ કેમકે સ્ત્રી પ્રકૃતિ છે ,નિર્માણ કરવાની તાકાત છે એનામાં, અખૂટ શક્તિઓથી ભરપૂર છે ,બસ એકવાર પોતાની જાતને નીરખી લેશે તો બધું સમજાય જશે.

Comments

You are welcome to share your ideas with us in comments !

Archive

Contact Form

Send