થપ્પડ
ફિલ્મમાં એક ડાયલોગ માં અમૃતા ( તાપસી પન્નુ) કહે છે કે જે સબંધ જોડીને રાખવો પડે એનો મતલબ તો એવો ને કે એ તૂટેલો જ છે? સબંધ સ્ત્રી કે પુરુષ કોઈના પણ સ્વમાનના ભોગે બાંધેલ રાખવો પડે એ કેટલું યોગ્ય છે? તમે તમારા જીવનસાથીના સ્વમાન ને તુચ્છ સમજતા હોવ તો તમે એમનો સ્વીકાર જ કેટલો કર્યો છે? કોઈને સ્વીકાર ના કરી શકીએ એમના પ્રત્યે પ્રેમ, સ્નેહ કે કોઈ લાગણી જન્મી શકે ખરી?
સ્વમાનનું એક શ્રેષ્ઠ ઉદાહરણ મને રામાયણમાં જોવા મળે છે. સીતાજી પતિવ્રતા હતા, આખું જીવન એમને ઘણા દુઃખ સહન કરવાના આવ્યા પણ જ્યારે વાત એમના સ્વામાન પર આવી ત્યારે એમણે પોતાના સ્વામાન ને પ્રાથમિકતા આપી. રામ ,અયોધ્યાવાસી બધા લવ કુશ સાથે તેમનો સ્વીકાર કરવા તૈયાર થયા ત્યારે તેમણે ધરતીમાંનો સહારો લીધો. જે રઘુનંદન દ્વારા એક વાર ત્યાગી ગયેલ પોતાની જાત ને તેમણે ફરી સ્વમાનના ભોગે અર્પણ ના કરી. આખું જીવન અગણિત વ્યથા ભોગ્યા બાદ તેઓ પોતાની જાત ને ,પોતાના સ્વામાન ને સાચવવાનું જાણતા હતા.
સંબંધોની કિંમત ઓછી છે એવું નથી. અહંકારના ભોગે જે સબંધ તૂટે છે એ બિલકુલ વ્યાજબી નથી. પણ આપણને સ્વમાન અને અહંકાર વચ્ચેના તફાવતને ઓળખતા આવડવું જોઈએ. પોતાના સ્વમાન, ગૌરવને જાળવવા માટે લડતા ,હિંમત રાખતા આવડવું જોઈએ. થપ્પડ ફિલ્મ પુરુષ પ્રધાન સોસાયટીના વિરોધ કે સ્ત્રી કેન્દ્રીત નથી. સ્ત્રીઓ પણ બીજી સ્ત્રીઓની દશા માટે જવાબદાર બની રહે છે. પુરુષો પણ જેમકે અમૃતાના પિતા જાણે છે કે જે અમૃતા કરી રહી છે એ કેમ જરૂરી છે અને અંતમાં અમૃતાનો પતિ પણ સમજી જાય છે કે કેમ અમૃતા માટે તેનું સ્વામાન ,તેની લડત ,તેની શાંતી જરૂરી છે. આ ફિલ્મ ફેમીલી સાથે જોવા જેવી છે કારણકે આ વાત ખાલી પતિ પત્નીની નથી,પણ પરિવારના બીજા સદસ્યો પણ એક યુગલના જીવનમાં કેમ પ્રભાવ કરી શકે છે તે પણ છે, જેમકે માતા,પિતા ,ભાઈ, સાસુ વગેરે.
જ્યારે સ્વમાન નથી સચવાતું ,ત્યારે પોતાની જાતનો સામનો કરવો મુશ્કેલ બને છે. પોતાના અસ્તિત્વ પર સવાલ ઉભા થાય છે ,આ પીડા અમૃતાના પાત્ર દ્વારા ખૂબ સારી રીતે સમજાવવામાં આવી છે. ફિલ્મના ડાયલોગ વિચારતા કરી મૂકે તેવા છે , મ્યુઝિક પણ સરસ છે, ઘણી જીણવટભરી દ્રષ્ટિથી ફિલ્મની કહાની કહેવામાં આવી છે. છેલ્લે "હેલ્લારો" ફિલ્મનો ડાયલોગ યાદ આવે છે જેમાં કહે છે કે આ સમાજ ના ઘણા નિયમોના ભાગ તો બની ગયા છીએ, ભોગી ના બનીએ તો સારું. ભોગી બનવું કે ના બનવું એ આપણા ઉપર નિર્ભર કરે છે. શક્તિ ને ક્યારેય પોતાની જાતને આશ્રિત કે કમજોર ના સમજવી જોઈએ કેમકે સ્ત્રી પ્રકૃતિ છે ,નિર્માણ કરવાની તાકાત છે એનામાં, અખૂટ શક્તિઓથી ભરપૂર છે ,બસ એકવાર પોતાની જાતને નીરખી લેશે તો બધું સમજાય જશે.
Very nice
ReplyDelete