સીતા
સીતા, વૈદેહી, જાનકી, મૈથીલી, રામપ્યારી ...આ બધા નામ જે સ્ત્રીએ જીવનભર ધારણ કર્યા અને અંતે બધા નામ ત્યજી વનદેવી નામે જીવનના અંતિમ વર્ષો વિતાવ્યા એ ખરેખર ખૂબ અદભુત સ્ત્રી હતા. સીતાજી સાધારણ સ્ત્રી ન હતા કે તેમનું અસ્તિત્વ તેમના મહાન પિતા રાજરીષી જનક કે યુગપુરુષ પતિ શ્રીરામ ના આશ્રિત નહોતું.પોતાનું એક આગવું અસ્તિત્વ તેમણે જાતે બનાવેલ.કહેવાય છે કે નાનપણથી જ તેઓ એ તેમના પિતા પાસેથી બધી શિક્ષા મેળવેલ, પિતા સાથે રાજ દરબારમાં બેસી રાજનીતિ,ધર્મ, જ્ઞાન મેળવેલ.
વર્ષોના દુષ્કાળ બાદ જ્યારે રાજા જનક એક વાર ધરતીમાંથી સીતાજી ને મેળવે છે અને વર્ષાનું આગમન થાય છે એ એક અભૂતપૂર્વ ઘટના હતી.આ નાની બાળકી વરસાદ લઈને આવે છે, પ્રકૃતિપ્રદાન આ બાળકી પ્રકૃતિના હર એક જીવથી ખૂબ ગાઢ સંબંધ ધરાવતી, મહેસુસ કરી શકતી. એક ગહેરી અનુકંપા સીતામાં હંમેશા વિદ્યમાન રહેતી. હૃદય કોમળ હતું પણ નિર્બળ નહીં,પ્રશ્ન પૂછવો એમનો સ્વભાવ હતો, જે અનુચિત કે અન્યાયી લાગે એના સામે સ્પષ્ટ વિરોધ કરવામાં તેઓ ક્યારેય ન ડરતા. દ્રઢતા, સજાગતા, વિવેક,શ્રદ્ધા,આત્મવિશ્વાસ સહનશીલતા,સમર્પણ, સ્વીકાર જેવા ગુણોથી તેઓસુશોભિત હતા.
તેમને વિશ્વાસ હતો કે તેઓ રામ ને પતિ તરીકે પામશે, આ વિશ્વાસ એટલો અતૂટ હતો કે તેમને અંશમાત્ર પણ સંદેહ નહોતો કે આવું કોઈ કારણોસર શક્ય નહીં બને.આપણે તો હંમેશા એજ સંદેહમાં રચ્યા પચ્યા રહીએ છીએ કે લાયક પાત્ર મળશે કે નહીં.આવું વિચારવામાં જોકે માત્ર આપણો જ વાંક નથી.ડગલે ને પગલે આપણને આપણી જાત પરના વિશ્વાસને તોડવાનો પ્રયાસ થઈ રહયો હોઈ ત્યારે આવું શક્ય બની શકે.પણ ઈશ્વર પર અથાહ શ્રદ્ધા રાખવી કે એ આપણા માટે યોગ્ય વ્યક્તિ અને જેના માટે આપણે યોગ્ય હોઈશું એને મોકલશે જ અને બીજું પોતાના પર વિશ્વાસ કે પોતે સારું પાત્ર મેળવવાને લાયક હશે અને જો એ લાયકાતમાં ક્યાંય અછત હોય તો એ બનાવવાની કોશીશ હંમેશા કરવી જોઈએ. શિવ તો બધાને જોઈએ છે પણ તેના માટે પોતે પાર્વતી બનવું અગત્યનું છે.
રામાયણમાં આપણે જોઈએ છીએ કે સીતાજી ખૂબ દુઃખ સહન કરે છે પણ તેઓ કઠોર નથી બનતા.તેમનું અકબંધ વ્યક્તિત્વ પહેલેથી લઈ અંત સુધી એમ જ રહે છે.પોતાના કર્તવ્યનું પાલન તેઓને કોઈ પણ નિજી સુખ ત્યાગીને પણ કર્યું છે.જ્યારે અયોધ્યાની પ્રજા તેમના પર અપવિત્રતાનું લાંછન લગાવે છે ત્યારે તેઓ જાતે અયોધ્યા ત્યજી દેવાનુ સ્વીકારે છે. લોકો રામ પર લાંછન લગાવે છે કે તેમણે સીતાજી ને ત્યજી દીધા પણ આ ઘટના શક્ય ન થઈ શકે એવો વિચાર તમને આવે જો તમે શ્રીરામ ને થોડાક પણ ઓળખતા હોવ.જે અયોધ્યા માટે આખા રાજપરિવારે ઘણા બલિદાન આપ્યા હોય, એ પ્રજા જ જો સીતાજી પર, રામ પર સ્ત્રી મોહનો આરોપ લગાવે તો એ સીતા જેવા પતિવ્રતાથી સહન કરવું શક્ય જ ન હોય એ સ્વાભાવિક છે.તેઓએ પેટમાં રઘુવંશી કુમારો ને લઈને અયોધ્યા છોડ્યું એ તેમની કમજોરી કે વિદ્રોહ ન કરવાની નીતિ ન હતી.અયોધ્યાની પ્રજાને ખાસ કરીને પુરુષોની સ્ત્રીઓ તરફની જે સોચ હતી તેને બદલવાનું આ આંદોલન હતું.પ્રજા ને પોતે કેટલી છીછરી સોચ ધરાવે છે જેના કારણે સ્ત્રીઓ સાથે કેટલા અન્યાય થતા હતા તે બદલવાનું, સ્ત્રીઓને ન્યાય, રાજા પર ના મિથ્યા આરોપ મિટાવવાના અને આખા સમાજ ને અલગ ગતિ આપવાનું તેમનું યુદ્ધ હતું.હા તેઓ માનતા કે જો સ્ત્રીઓ પણ પુરુષોની જેમ હિંસક બની શસ્ત્ર ધારણ કરી યુદ્ધ કરવા મડશે તો ધરતી પર દયા, કરુણા, કોમળતા નો નાશ થશે.તેમનું યુદ્ધ અહિંસક હતું.કહેવાય છે સીતાજીના આ ત્યાગ,બલિદાન એ તેમના લક્ષ્ય ને હાસિલ કરેલ. પ્રજા એ પોતે કેટલી નિર્દય, અવિચારી હતી એ સ્વીકારી પારાવાર પછતાવો કરેલ અને સીતાજી ની માફી માગેલ. રામ એ પણ સીતાજીની આ ક્રાંતિ વ્યર્થ ન જાય તેના માટે સ્ત્રીઓના રક્ષણ,અધિકાર માટે ઘણા કડક નિયમો બનાવેલ.આ સીતાજીની જીત હતી.
Sita Gita kunta ni aa sankruti asmitani
ReplyDeleteસીતા ગીતા કુંતાની આ સંસ્કૃતિ અસ્મિતા
ReplyDeleteSita darek Stri mate prerana chhe
ReplyDelete