પ્રેમ જ પ્રોબ્લેમ છે

લેખનું ટાઇટલ વાંચીને સવાલ આવે કે આ તે કેવી વાત થઈ, પ્રેમ જેવી લાગણી કે બંચ ઓફ ઈમોશન્સને પ્રોબ્લેમ કેવી રીતે કહી શકાય? વાત તો એમની સાચી છે જે પ્રેમ ને સમજતા હોય એ માટે કેમકે પ્રેમ સાહજીક છે, અને જે નેચરલ હોય તેને મિટાવવા, ખત્મ કરવા, દબાવવાથી આપણને શુ મળી જવાનું? આપણાં સમાજમાં દરેક પ્રકારના પ્રેમને માન્યતા નથી  મળતી. માતા પિતાનો સંતાન પ્રત્યેનો પ્રેમ કે સંતાન નો માતા પિતા પ્રત્યેનો પ્રેમ, સ્વીકાર્ય છે, ભાઈ બહેનોનો એકબીજા પ્રત્યેનો પ્રેમ સ્વીકાર્ય છે, સબંધીઓ નો સ્નેહ પ્રેમ સ્વીકાર્ય છે, દોસ્તોની એકબીજા પ્રત્યેની પ્રેમની ભાવના સ્વીકાર્ય છે, ભક્તનો ભગવાન પ્રત્યેનો પ્રેમ સ્વીકાર્ય છે પણ આજે પણ આપણી વચ્ચે ઘણા લોકો છે જેમને એક છોકરા અને એક છોકરી ના મધ્યનો પ્રેમ સ્વીકાર્ય નથી હોતો.આ એક વિચારવા જેવી બાબત છે.કેમ આવું કેમ? શુ હંમેશા યંગસ્ટર્સ માત્ર આકર્ષણને પ્રેમ માની લેતા હશે? શુ એમનામાં સમજ નહીં હોતી હોય કે સામે વાળું પાત્ર તેમનાં પ્રેમને લાયક છે કે નહીં?શુ એમને એમના સગા વહાલા કે મિત્રો સિવાય કોઈ બીજા માણસ પ્રત્યે પ્રેમની ભાવના થવી એ એમનો વાંક ભૂલ જ હોય? શુ એમણે બાળપણથી યુવાની સુધી પ્રેમ કરતા જ નહીં શીખ્યું હોય? હરરોજ કોઈ યુગલના ભાગવાના સમાચાર કે આત્મહત્યાના સમાચાર વાંચવા જોવા મળે છે.કેમ તેઓએ આવું પગલું ભર્યું હશે તેઓ વિચાર કોઈને નહી આવતો હોય? કદાચ પોતાના માતા પિતાની પરવાનગી ના મળી હોય લગ્ન માટે, મનાવી મનાવીને થાકી કદાચ આવું પગલું ભરેલ હોય એવા તુક્કા મરાતાં હોય છે.સાચું શુ હોય એતો તેમના પરિવાર જ જાણતા હોય. પણ શું આપને એવા સમાજની કલ્પના કરી શકીએ જ્યાં માતા પિતા પોતાના સંતાનોને દોસ્ત સખાની જેમ સાંભળતા હોય, તેમને પોતાના અનુભવને ધ્યાનમાં લઈ યોગ્ય સલાહ સુચન આપતા હોય અને જો સંતાનો ખોટા રસ્તે જતા હોય તો યોગ્ય પગલાં ભરી તેમને સાચા માર્ગ પર લઈ જાય. સંતાન અને માતા પિતા વચ્ચે જનરેશન ગેપ તો રહેવાનો પણ કનેક્શન તો લોહીનું છેને.એ માનવું જ એકદમ ખોટું રહ્યું કે સંતાન કે પેરેન્ટ્સ એકબીજાને દુઃખી કરીને ખુશ રહી શકતા હોય. સંતાનો ક્યારેક આવેશમાં આવી ખોટા પગલાં લઈ લે છે તો ક્યારેક માતા પિતા પોતાની રૂઢિચુસ્તતા ને પકડી, પોતાનાં અનુભવને જ ધ્યાનમાં રાખીને સંતાનને સમજી શકતા નથી અને આ બધામાં પ્રેમ વિના વાંકે બદનામ થઈ જાય છે સાંભળવા મળે છે પ્રેમ જ પ્રોબ્લેમ છે( જે આ વાક્ય બોલતું હોય એ પણ પોતે પોતાના આ કથન ને માનતું નથી હોતું, પ્રેમ વગર કોઈ પણ વ્યક્તિનું અસ્તિત્વ જ કેવી રીતે શક્ય હોય શકે) અને આવેગ,આવેશમાં આવી પાછળથી પછતાવો થાઈ એવા નિર્ણયો લેવાઈ જાય છે. શુ આપણે આપણા સંતાનોને પ્રેમ કરતા નથી શીખવાડ્યો? નાનપણથી બાળક માતા પિતાને અનુસરીને બધું શીખે છે અને પ્રેમ પણ માતા પિતા પાસેથી જ શીખે છે તો જ્યારે એ બાળક મોટું થઈ કોઈને પ્રેમ કરવાનો દાવો કરે ત્યારે કેમ એ સ્વીકારવું મુશ્કેલ પડે છે? કેમ એ ખોટું કાર્ય જ સિદ્ધ કરવામાં આવે છે? કેમ તેના આત્મવિશ્વાસના ચુરેચુરા બોલાવી દેવામાં આવે છે? માન્યું માતા પિતા સંતાન માટે પ્રોટેકટિવ હોય પણ તેઓ મોટા થઈને એક નવી દુનિયા વસાવવાના છે, માતા પિતા હંમેશા એમને સાથ દેવા નહીં હોય, ઘણી લડાઈ તેમણે પોતાને જાતે લડવી પડશે, ઘણા અગત્યના નિર્ણયો તેમણે જાતે લેવા પડશે અને તેના માટે તેમનું ઘડતર મજબૂત હોવું જોઈએ ના કે ફૂલોની પાંખડીઓ સમાન કોમળ, માવજત ભર્યું. હા સાચું છે કે સંતાનો કેટલા પણ મોટા થઈ જાય મા બાપ માટે તો નાના ભૂલકાં જ રહે પણ તે નાના ભૂલકાઓ જ્યારે મોટા થઈ જાય, જવાબદાર વ્યક્તિ બની જાય ત્યારે સ્વતંત્રતા આપવાની જરૂર પડે છે જેથી તેઓ પોતે પોતાના સંઘર્ષનો સામનો નિર્ભયતાથી કરી શકે. તેમના પર વિશ્વાસ કરવાની જરૂર છે જેથી તેઓ પોતાનામાં આત્મવિશ્વાસ કેળવી શકે જે ખૂબ અગત્યનું પાસું છે ઘણા નિર્ણયો લેવા પાછળ. સંતાનોની પણ સામે જવાબદારી છે કે જે માતા પિતાએ તેમના જન્મથી લઇ, ઉછેર, ભણતર, અને અગણિત ઉપકાર કર્યા છે તેમના ઋણ ને ધ્યાનમાં લઈ તેમનાથી યોગ્ય વર્તન કરે. તેમને સમજવાની કોશિશ કરે.બની શકે કે નવયુગની ઘણી બાબતો તેમને ના સમજાય તો પેશન્સ રાખી સમજાવે. જેમનાથી પ્રેમ શીખ્યો હોય તેમને બીજા કોઈને પ્રેમ માટે તરછોડવું માત્ર વ્યક્તિઓનું નહીં પણ પ્રેમનું પણ અપમાન છે.


Comments

You are welcome to share your ideas with us in comments !

Archive

Contact Form

Send